વર્ષ હતું 1971. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ફિલોસોફર Philip Zimbardo એ એક પ્રયોગ કર્યો, જેણે સમગ્ર દુનિયાના ફિલોસોફરોને હલબલાવી નાખ્યા તેમજ આ પ્રયોગ ખુબ ચર્ચાસ્પદ રહ્યો. પ્રયોગનો ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે, શું માનવી બુનિયાદી દ્રષ્ટિએ જ સારો અથવા ખરાબ હોય છે કે પછી તેના વલણનો દારોમદાર સંજોગો અને માહોલ ઉપર નિર્ભર કરે છે?
-
zimbardo એ આ વાતને ચકાસવા માટે પોતાની જ યુનિવર્સિટીના ભોંયરામાં એક જેલ ઉભી કરી. જેમાં કેદીઓ માટે લોખંડના દરવાજા વાળા ઓરડા અને ગાર્ડ માટેના રૂમ બનાવવામાં આવ્યા. પ્રયોગ માટે 24 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી. જેમાંથી અડધાને કેદી અને અડધાને ગાર્ડ બનાવવામાં આવ્યા(જુઓ નીચેની ઇમેજ). કેદીઓને અસલ પોલીસે ઘરેથી હથકડી પહેરાવી તેમની ધરપકડ કરી કેદખાનામાં નાખ્યા. ત્યાં તેમના કપડાં ઉતારવામાં આવ્યા, સાફ-સફાઇ કરવામાં આવી અને કેદીઓને ઢીલાં કપડા પહેરાવવામાં આવ્યા. તેઓનું નામ અને ઓળખ છીનવી લેવામાં આવી. હવે તેઓ મનુષ્ય નહીં કેવળ એક નંબર હતાં. બીજી તરફ પહેરેદારોને વર્દી, ચશ્મા, સીટી અને દંડા આપવામાં આવ્યા. તેઓને કહેવામાં આવ્યુ કે, જેલમાં નિયમોનું પાલન કરાવવું તેમની ફરજ છે. હાં, શારીરિક ત્રાસ ન આપવો બાકી બધુ તેઓ કરી શકે.
-
શરૂઆતમાં તો બધાને આ મજાક લાગ્યું. કેદીઓ હસતા હતાં, ગાર્ડ નિયમ પાલન કરાવતા અચકાતા હતાં પરંતુ એક જ દિવસમાં માહોલ બદલાઇ ગયો. ગાર્ડ પોતાને તાકતવર સમજવા લાગ્યા. તેઓ સીટી વગાડતા, હુકમ ફરમાવતા થઇ ગયા તેમજ કેદીઓને સજારૂપે પુશ-અપ કરાવતા. બીજા દિવસે કેદીઓએ વિદ્રોહ કર્યો અને ગાદલાઓ વડે દરવાજા બંધ કરી દીધા તો ગાર્ડ લોકોએ તુરંત અગ્નિશામક યંત્ર વડે તેઓના રૂમમાં ગેસ છોડ્યો, તેઓને નિર્વસ્ત્ર કર્યા તથા કચડીને માર્યા.
-
પરિસ્થિતિ બદતર થવા માંડી. કેટલાક ગાર્ડે તો કેદીઓ પાસે ટોયલેટ સાફ કરાવ્યા, ધાબળા છીનવી લીધા અને આખી રાત જાગવા મજબૂર કર્યા. હેરતપૂર્ણ વાત તો એ હતી કે, આ સઘળા કાર્યો તે લોકો કરી રહ્યાં હતાં જેઓ એક દિવસ પહેલાં મિત્રો જેવા હતાં. કેદીઓ આંતરિક રીતે ભાંગી ગયા, રડવા માંડ્યા, કેટલાક બીમાર થઇ ગયા. એક કેદીને તો બીજા દિવસે જ છોડવો પડ્યો કેમકે તે પરિસ્થિતિ સહન ન કરી શક્યો. અન્ય કેદીઓએ પણ પોતાને મુક્ત કરવા માટે વારંવાર આજીજી કરી પરંતુ પ્રયોગ પહેલા આપેલ લેખિત પરવાનગીએ તેઓને માનસિક રીતે ઝંઝીરમાં જકડી રાખવા મજબૂર કર્યા.
-
zimbardo પોતે પણ એક જેલરની જેમ વિચારવા માંડ્યાં. પ્રયોગ બે અઠવાડિયા ચાલનારો હતો પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ કે, zimbardo ની સાથી christina maslash એ કહેવું પડ્યું કે આ પ્રયોગ નહીં પણ જુલમ છે. આ કેદીઓ નથી પણ મનુષ્યો છે અને zimbardo એ તત્કાળ પ્રયોગને રોકી દીધો. આ પ્રયોગે દર્શાવ્યુ કે, તાકાત અને માહોલ માનવીને બદલી નાંખે છે. બીજા શબ્દોમાં
કહીએ તો, શક્તિ(power) એક સામાન્ય માણસને દુષ્ટ બનાવી શકે છે જ્યારે એ જ શક્તિના છીનવાઇ
જવાથી માણસ બેબસ અને લાચાર પણ બની શકે છે. આ જ ક્ષણોને Lucifer effect કહે છે.
-
આ પ્રયોગ ઉપર બાદમાં ઘણી ચર્ચાઓ થઇ જેમકે....પ્રયોગ કરનાર કોઇ વૈજ્ઞાનિક ન હતો, ભાગ લેનાર બધા અભિનય કરી રહ્યાં હતાં વગેરે પરંતુ પ્રયોગની અસર એટલી ગહેરી હતી કે આજની તારીખે પણ ફિલોસોફીકલ, સામાજીક અને પોલિટિકલ સાયન્સમાં આ પ્રયોગનો ઉલ્લેખ કરવામાં આવે છે. ટૂંકમાં, પ્રયોગનો સાર એટલો છે કે, દુષ્ટતા હંમેશા શેતાન અથવા ઝનૂની વ્યક્તિમાંથી જ નથી આવતી બલ્કે સામાન્ય વ્યક્તિમાંથી પણ આવી શકે છે. આ પ્રયોગ આપણને યાદ કરાવે છે કે, આપણા બધામાં અજવાળું અને અંધકાર બંન્ને સમાયેલા છે. સવાલ એ નથી કે આપણે અંદરથી કેવા છીએ પરંતુ મહત્વપૂર્ણ એ છે કે આપણને કેવા પ્રકારનું વાતાવરણ મળી રહ્યું છે.


No comments:
Post a Comment