નિર્દેશક હંસલ મહેતાની ફિલ્મ અલીગઢ હાલની સામાજીક-રાજકીય સ્થિતિનું આબેહૂબ ચિત્રણ પ્રસ્તુત કરે છે. ફિલ્મની સ્ટોરી કંઇક આ પ્રકારની છે. ઉત્તર ભારત સ્થિત પ્રતિષ્ઠિત અલીગઢ યુનિવર્સિટીમાં મરાઠી ભણાવતા પ્રોફેસરના ઘરે રાત્રે એક સનસનીખેજ સ્ટિંગ ઓપરેશન થાય છે. યુનિવર્સિટી તાત્કાલિક પગલાં લે છે પરંતુ સ્ટિંગ કરનારાઓની ધરપકડ કરવાને બદલે યુનિવર્સિટી પ્રોફેસરને જ નોકરીમાંથી કાઢી મૂકે છે. કારણ? પ્રોફેસરની સમલૈંગિક ઓળખનું ઉજાગર થઇ જવું છે.
-
‘અલીગઢ’ આપણને લડાઇના અનિચ્છુક એવા પ્રોફેસરની એકલવાઇ પરંતુ અત્યંત કોમળ દુનિયામાં લઈ જાય છે. સાથેસાથે તે આપણા 'સંસ્કારી સમાજ' નો વાસ્તવિક ચહેરો પણ આપણી સમક્ષ ઉજાગર કરે છે, જેને પોતાનાથી ભિન્ન કોઈ અસહજ ઓળખ પણ સહન થતી નથી. ખરેખર આ બહુમત નથી બલ્કે આક્રમિક ટોળું છે. અદ્ભુત સંવેદનશીલતા સાથે બનાવેલી 'અલીગઢ'ની ચિંતાનો વ્યાપ વિશાળ છે. આ ફિલ્મ વાસ્તવમાં હર એ અલ્પસંખ્યક પહેચાન વિશે છે, જેમની રક્ષાના વચન ઉપર જ આપણું બંધારણ, આપણી લોકશાહી અને આપણો દેશ ટક્યો છે.
-
બીજું, ‘અલીગઢ’ આપણી આધુનિક યુનિવર્સિટીઓના બદલાતા ચહેરાનું પણ ચિત્રણ કરે છે. આ સંસ્થાઓ ભારતની વૈવિધ્યસભર ઓળખનો ગુલદસ્તો હોવી જોઇતી હતી પરંતુ આઝાદીના આટલા વર્ષ પછી પણ તેમની અંદર ફેલાયેલી અસમાનતાનું જીવંત ઉદાહરણ છે ‘અલીગઢ’. જે સંસ્થાઓએ વૈચારિક મતભેદોનું સંરક્ષક બનવાનું હોય છે ત્યાં યોજનાબદ્ધ રીતે મતભેદોને ખતમ કરાઇ રહ્યાં છે.
-
પછી ભલે તે અલીગઢના પ્રોફેસર સિરાસ(મનોજ બાજપાઇ) હોય, રાજસ્થાનથી દિલ્હીમાં ભણવા આવેલા અનિલ મીના હોય કે હૈદરાબાદના રિસર્ચ સ્ટુડન્ટ રોહિત વેમુલા હોય, આ બધા નામો આપણી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના ચહેરા પરના કુખ્યાત ડાઘ છે. આપણે યાદ રાખવું જોઈએ કે ન્યાય વિના કોઇપણ બરોબરી સંભવ નથી.

No comments:
Post a Comment