AI ના ખતરાથી દુનિયા ફિલહાલ ખોફમાં છે. પહેલાં ઇલોન મસ્ક જેવા ગણ્યા-ગાઠીયા લોકો જ આનો વિરોધ કરતા હતાં ત્યારે લોકોએ તેમની વાતને એટલું મહત્વ ન આપ્યુ પરંતુ તહેલકો ત્યારે મચ્યો જ્યારે AI ના ગોડફાધર ગણાતા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ Geoffrey Hinton એ કહ્યું કે AI થી મનુષ્યને ખતરો છે. 2002 માં જ્યારે દુનિયા ન્યૂરલ નેટવર્કને એટલું મહત્વ નહોતી આપતી ત્યારે આજ વ્યક્તિનું કહેવું હતું કે ન્યૂરલ નેટવર્ક AI નું ભવિષ્ય છે, AI થી માનવજાતને કોઇ ખતરો નથી પરંતુ હવે તેઓ ખુદ માનવા લાગ્યા કે AI થી માનવજાતને ખતરો છે અને ધીમેધીમે તેમની આ વાત સાચી પ્રતિત થતી દેખાય છે. તેઓ ગુગલમાં કાર્યરત હતાં પરંતુ હવે તેમણે ગુગલ છોડી દીધું છે.
-
તેમણે કહ્યું કે ફિલહાલ જે રીતે AI ને ડિઝાઇન કરવામાં આવી રહ્યાં છે તેને જોતા અને ભવિષ્યમાં તેના વપરાશ સામે મને વાંધો છે. જો AI ઉપર નિયંત્રણ ન રાખવામાં આવ્યું તો તે મનુષ્યોને ખતમ કરી શકે છે. તેમના આ નિવેદને એક તોફાન ઉભુ કરી દીધું. તેમણે એવું પણ કહ્યું કે AI ના કારણે ઇન્ટરનેટ ઉપર misinformation(ખોટી માહિતી) ની મોટી આંધી આવશે.
-
આપણી બુદ્ધિમતા બાયોલોજીકલ સિસ્ટમ આધારિત છે. આજની ટેકનોલોજી અનુસંધાને જોઇએ તો બાયોલોજીકલ સિસ્ટમ ખુબજ ધીમી છે જ્યારે ડિજિટલ બુદ્ધિમતા ઘણી ઝડપી. ડિજિટલ બુદ્ધિમતાને એક મોટો ફાયદો એ છે કે તે પોતાની બુદ્ધિમતાને કોપી કરી શકે છે જે આપણે નથી કરી શકતાં. ઉદાહરણ તરીકે એક AI જ્યારે કોઇ મનુષ્ય સાથે ચેસની રમત રમે છે ત્યારે તે પોતાની બહુવિધ(multiple) કોપી બનાવી લે છે. હર કોપી સ્વતંત્રરૂપે તે રમતને રમી રહી હોય છે. ધારોકે 100 કોપી બનાવી તો તેનો અર્થ થાય કે 100 લોકો એક મનુષ્ય સામે રમી રહ્યાં છે તેમજ નિરીક્ષણ કરી રહ્યાં છે કે તેની હવે પછીની ચાલ શું હશે? તે સઘળી કોપી બાદમાં એક થઇ જાય છે અને AI પોતાની ચાલ ચાલે છે. ડિજિટલ બુદ્ધિમતાનો આ સુપર પાવર છે.
-
અમેરિકા AI ને પોતાના યુદ્ધ સંબંધિત ક્ષેત્રમાં લાવવાની ભરપુર કોશિશ કરી રહ્યું છે. ચાઇનાએ દાવો કર્યો છે કે 2030 માં તે AI નો બાદશાહ હશે. આ ખાલી વાત નથી બલ્કે ચાઇનાએ ક્યારનો આનો અમલ શરૂ કરી દીધો છે. સ્કૂલોમાં AI નો વિષય ફરજિયાત બનાવી દીધો છે. રશિયા પણ આ તરફ જ જઇ રહ્યું છે.
-
AI trolls ભવિષ્યમાં માનવીઓ માટે માથાનો દુખાવો હશે કેમકે આપણી સઘળી માહિતી તેની પાસે છે. આપણા આ digital signature ને તે આરામથી manipulate કરી શકે છે. કહેવાનો મતલબ AI નો ખુબ દુરુપયોગ થશે, સાથેસાથે તે ખોટી માહિતીઓની આંધી લાવશે. જો તમને લાગતુ હોય કે આ બહુ દૂરની વાત છે તો એક વાત સમજી લ્યો કે ન્યુક્લિઅર ફિઝિક્સના બાદશાહ Ernest Rutherford એ કહ્યું હતું કે આપણે અણુ દ્વારા ક્યારેય ઉર્જા પ્રાપ્ત નહીં કરી શકીશું અને થોડાં મહિનાઓ બાદ ન્યુક્લિઅર બોમ્બ બનાવી નાખવામાં આવ્યો.
-
તો AI ને કન્ટ્રોલ કઇરીતે કરવું? આ સવાલ ફિલહાલ વૈજ્ઞાનિક સમુદાયમાં ખુબ ચર્ચાઇ રહ્યો છે. લોકો તેના અલગ-અલગ નિવારણો આપી રહ્યાં છે પરંતુ સચોટ જવાબ કોઇ પાસે નથી. આનો મતલબ એવો નથી કે આપણે AI થી ડરી જઇએ અને તેનાથી દૂર ભાગવાની કોશિશ કરીએ. યાદરહે AI વગર આપણો ઉધ્ધાર નથી. છતાં અંતે મહત્વનો સવાલ...શું એક ઓછી બુદ્ધિમતા ધરાવતી પ્રજાતિ એક ખુબજ બુદ્ધિશાળી પ્રજાતિને કાબૂમાં રાખી શકે ખરી? ક્યારેય નહીં.
.jpg)
No comments:
Post a Comment