Tuesday, June 1, 2021

ગ્લોબલ વોર્મિંગ



આજથી લગભગ 30 કરોડ વર્ષ પૂર્વ પૃથ્વી કાદવ અને કીચડયુક્ત જંગલોથી ઘેરાયેલ હતી. કરોડો વર્ષોના સમયગાળામાં આ કાદવમાં મરીને દફન થતી વનસ્પતિઓના પડ ઉપર પડ ચઢતાં ગયાં. સમય સાથે આ વધતાં પડોના તાપમાન અને દબાણના કારણે થયેલ રાસાયણિક ક્રિયાઓના ફળસ્વરૂપ આ મૃત જીવાશ્મ કોલસાના સ્વરૂપમાં પરિવર્તિત થઇ ગયાં. કંઇક આવી જ પ્રક્રિયા સમુદ્રોમાં પણ ઘટિત થઇ, જ્યાં મૃત થઇને સમુદ્રતળમાં દફન થતી વનસ્પતિઓ તથા સુક્ષ્મજીવીઓ ઉપર કાદવ, રેતી તથા અન્ય જીવાશ્મોના પડ ચઢતાં રહ્યાં. સમુદ્રોના અપેક્ષાકૃત અધિક દબાણ તથા તાપમાનના કારણે આ સમુદ્રી જીવાશ્મ સમય જતાં ક્રૂડ ઓઇલ તથા પ્રાકૃતિક ગેસો વગેરેમાં પરિવર્તિત થતાં ગયાં. કોલસો, ક્રુડ ઓઇલ તથા પ્રાકૃતિક ગેસ ત્રણેયનું નિર્માણ પ્રાચીન જીવોના અવશેષોમાં મૌજૂદ ગ્લૂકોઝને બનાવવાવાળા હાઇડ્રોજન તથા કાર્બનના અણુઓના સંયોગ વડે ઉત્પન્ન થયેલ હાઇડ્રોકાર્બન વડે થાય છે. અર્થાત કોલસો હોય કે ક્રુડ ઓઇલ હોય કે પ્રાકૃતિક ગેસ, છે ત્રણેય હાઇડ્રોકાર્બન જ. અંતર ફક્ત આ હાઇડ્રોકાર્બન અણુઓની અલગ-અલગ સંરચનાનું છે. જેનું કારણ છે આ ત્રણેયનું અલગ-અલગ દબાણ અને તાપમાને બનવું.
-
જીવોના અંશ વડે બન્યા હોવાના કારણે ઇંધણોને જીવાશ્મ(અશ્મિભૂત) ઇંધણ અથવા fossil fuel પણ કહે છે. આ fossil fuel માં મૌજૂદ હાઇડ્રોકાર્બનને સળગાવીને આપણે આપણી ઉર્જા જરૂરિયાતોને પૂરી કરીએ છીએ અને આપણી ગાડીઓને ઝડપ આપવાથી માંડી આપણાં ઘરોને ઉજાસ વડે ઝળહળતા રાખી શકીએ છીએ. સમસ્યા ફક્ત એટલી છે કે આ ઇંધણોને સળગાવવાથી આપણે તેમાં કેદ થયેલ કાર્બનને પણ મુક્ત કરી દઇએ છીએ. જે કાર્બન વાતાવરણના ઓક્સિજન સાથે ક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે, કે જે એક ગ્રીનહાઉસ ગેસ છે.
-
જ્યારે આપણે સૂર્ય દ્વારા પૃથ્વી ઉપર પ્રાપ્ત થયેલ દૈનિક ઉર્જા અને પૃથ્વી દ્વારા પરાવર્તિત કરાયેલ રેડિએશનનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો આપણને જાણ થાય છે કે પૃથ્વીનું સરેરાશ તાપમાન લગભગ -20 ડીગ્રી એટલેકે પાણીના freezing point થી લગભગ 20 ડીગ્રી ઓછું હોવું જોઇએ. આ સ્થિતિમાં સમુદ્રોએ પ્રવાહી સ્વરૂપે ન રહીને વિશાળ હિમખંડો સ્વરૂપે હોવું જોઇએ અને પૃથ્વી ઉપર જીવન પાંગરવું ન જોઇએ. પરંતુ હકિકતે એવું નથી. કેમ? શું આપણી ગણતરીમાં કોઇ ભૂલ છે? નહીં,, આપણી ગણતરીમાં કોઇ ભૂલ નથી. બસ આપણે ગણતરી કરતી વખતે પૃથ્વીના ગ્રીન હાઉસ ઇફેક્ટને નજરઅંદાજ કરી દીધી.
-
સૂર્યથી પ્રાપ્ત રેડિએશન અથવા ઉષ્માને પૃથ્વી મુખ્યત્વે ઇન્ફ્રારેડ(Infrared Spectrum) વિકિરણના રૂપે ઉત્સર્જીત કરી દે છે. ઇન્ફ્રારેડ કે જે પ્રકાશનું જ એક અધિક વેવલેન્થ(low energy) વાળુ રૂપ છે. આપણું વાતાવરણ મુખ્યત્વે ઓક્સીજન અને નાઇટ્રોજન વડે બન્યું છે અને આ બંન્ને ગેસો ઇન્ફ્રારેડ રેડિએશન પ્રતિ ઉદાસીન હોય છે. અર્થાત ઇન્ફ્રારેડ ઉષ્માને સહેલાઇથી પૃથ્વી બહાર છટકી જવા દે છે. પરંતુ વાતાવરણમાં મૌજૂદ કાર્બન ડાયોક્સાઇડ, મીથેન, water vapour(જળબાષ્પ) જેવા ગ્રીનહાઉસ ગેસો ઇન્ફ્રારેડ રેડિએશનને શોષી લે છે. પરિણામસ્વરૂપ કેટલીક ઉષ્મા પૃથ્વીની બહાર જઇ નથી શકતી અને પૃથ્વી ગરમ/હુંફાળી રહે છે.
-
ગ્રીન હાઉસ ગેસોના પ્રભાવને આપણાં સમીકરણમાં સમાવેશ કરતાં આપણને પૃથ્વીનું સરેરાશ તાપમાન લગભગ 14 ડીગ્રી જેટલું પ્રાપ્ત થાય છે. આ તાપમાને જળ પ્રવાહી અવસ્થામાં રહી શકે છે અને જીવનની ઉત્પત્તિ સંભવ થઇ શકે છે. આ પ્રમાણે જોવા જઇએ તો થોડી અથવા ઉચિત માત્રામાં ગ્રીન હાઉસ ઇફેક્ટનું મૌજૂદ હોવું એક ગ્રહ માટે સારી વાત છે પરંતુ જો વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસોની માત્રા અનાવશ્યક રૂપે વધી જાય તો ઇન્ફ્રારેડ રૂપી ઉષ્મા પૃથ્વી ઉપર એકઠી થવા માંડે. પરિણામે પૃથ્વી નિરંતર ગરમ થતી રહે છે. આ પ્રક્રિયાને જ ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે અને તેના પરિણામો ઘણાં ઘાતક હોય છે.
-

આપણે પ્રતિવર્ષ લગભગ 30 અબજ ટન co2 વાતાવરણમાં ઠાલવીએ છીએ કે જે પ્રાકૃતિકરૂપે વાતાવરણમાં મૌજૂદ 780 અબજ ટન co2 થી ઘણો ઓછો છે(છતાં ચિંતાજનક છે). પરંતુ પ્રકૃતિએ કેટલીક એવી વ્યવસ્થા બનાવી છે જેનાથી અનાવશ્યક co2 નું અવશોષણ થઇને પર્યાવરણમાં સંતુલન જળવાય રહે. ઉદાહરણ તરીકે....વાતાવરણમાં મૌજૂદ co2 નો ઉપયોગ કરી વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. તે ઓક્સિજનનો ઉપયોગ જીવો શ્વસનમાં કરી co2 ને બહાર કાઢે છે, જેથી સંતુલન જળવાયેલ રહે છે. પરંતુ આપણે શહેરીકરણ માટે લગાતાર વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યાં છીએ અને વાતાવરણમાં પ્રતિવર્ષ વધારાનો co2 પણ ઠાલવી રહ્યાં છીએ. તો સ્વાભાવિક છે કે પરિણામો ઘાતક હોવાના.

-

છેલ્લાં સો વર્ષોમાં માનવીય હસ્તક્ષેપના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન લગભગ 1 ડીગ્રી જેટલું વધી ગયું છે. એક ડીગ્રી સાંભળવામાં કદાચ વધુ લાગે તો એટલું જાણી લ્યો કે પૃથ્વી ઉપર આવેલ શીતયુગ અને સામાન્ય યુગના તાપમાનના અંતરની જો વાત કરીએ તો તે લગભગ 3 થી 5 ડીગ્રી માત્ર હોય છે. પૃથ્વીના સરેરાશ તાપમાન સાથે થોડીઘણી પણ છેડછાડ કેટલી હદે વિનાશનું કારણ બની શકે તે આપણે ફરી ક્યારેક જોઇશું.

-

ગરમ થવાથી ક્ષેત્રફળનો ફેલાવો એ જળનો એક સહજ ગુણ છે. પૃથ્વીના ગરમ થવાથી સમુદ્રોનું પાણી ગરમ થઇને ફેલાય રહ્યું છે. ધ્રુવો ઉપર મૌજૂદ બરફ લગાતાર પીગળી રહ્યો છે. બધા કારણવશ પ્રતિવર્ષ સમુદ્રોનું જળસ્તર 3 મિલિમીટર જેટલું વધી રહ્યું છે. અગર ધ્રુવો ઉપર વર્તમાનમાં મૌજૂદ સમસ્ત બરફ પીગળી જાય તો સમુદ્રોનું જળસ્તર લગભગ 70 મીટર જેટલું વધી જવા પામે. ત્યારે સમુદ્રી કિનારે વસેલા મહાનગરોનું શું થશે? આપણે પ્રદુષણ ઓકી રહ્યાં છીએ. જેના કારણે ઉત્તરી ધ્રુવની સ્નો લાઇન છેલ્લાં ત્રીસ વર્ષની અંદર 1.1 કિ.મી પાછળ જઇ ચૂકી છે. ગુગલ અર્થનું, અર્થ એન્જીન ખોલી તેમાં હિસ્ટોરીકલ ઇમેજ ચેક કરશો તો બાબતની પુષ્ટી થઇ જશે. મતલબ એટલો બરફ પીગળી ચૂક્યો છેરીપોર્ટ કહે છે કે 2050 સુધી મુંબઇ, કરાચી, સિંગાપોર, માલદીવ, ન્યૂયોર્ક, શંઘાઇ, બિજીંગ, હોંગકોંગ જેવા દરિયા નજીકના શહેરોમાંથી આશરે 40 કરોડ લોકોને સ્થળાંતર કરવા પડશે. જરા વિચારો સ્થળાંતર, રાજ્યોની તેમજ ઘણાં દેશોની સરહદોની સંપૂર્ણ પરિભાષા બદલી નાંખશે. એક રેફ્યુજીને હાલની તારીખે કોઇ આશરો આપવા તૈયાર નથી ત્યારે 40 કરોડ રેફ્યુજીઓને ક્યાં સમાવશો? કોઇ સમજાવશે?

-

ગ્લોબલ વોર્મિંગના કારણે વાવાઝોડાં તથા દુકાળની ઘટનાઓ લગાતાર વધી રહી છે અને આનો સબંધ અર્થવ્યવસ્થા સાથે પણ છે. એક વાવાઝોડું અથવા દુકાળ કોઇપણ દેશની અર્થવ્યવસ્થાને અબજો રૂપીયાનો ચૂનો લગાડવા માટે પર્યાપ્ત છે. પર્યાવરણતંત્રમાં એક મામૂલી ફેરફાર પણ એક ક્રિયા-પ્રતિક્રિયા શ્રૃંખલાને જન્મ આપી જીવનનો વિનાશ કરી શકે છે. ઉદાહરણ તરીકે....પૃથ્વીને ફક્ત 1 ડીગ્રી ગરમ કરવાથી સમુદ્રોમાંથી અધિક જળબાષ્પ વાતાવરણમાં જશે. અગાઉ જોઇ ગયા એમ જળબાષ્પ ગ્રીન હાઉસ પ્રભાવ ધરાવે છે. મતલબ વાતાવરણમાં અધિક જળનું પહોંચવું પૃથ્વીને વધુ ગરમ કરશે. અધિક ગરમી મતલબ અધિક જળબાષ્પ મતલબ અધિક ગ્લોબલ વોર્મિંગ અને ચક્ર ત્યાંસુધી ચાલતું રહેશે જ્યાંસુધી સમુદ્રોનું નામોનિશાન મટી નહીં જાય.

-

ગ્લોબલ વોર્મિંગ કોઇ ખુબસુરત ગ્રહને કેટલી હદે નર્ક સમાન બનાવી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ ફક્ત 2.6 કરોડ કિલોમીટર દૂર શુક્ર ગ્રહ છે. શુક્રનું તાપમાન લગભગ 480 ડીગ્રી જેટલું છે. આશ્ચર્યની વાત છે કે સૂર્યથી શુક્ર અને પૃથ્વીનું અંતર લગભગ સરખું છે, છતાં શુક્ર આટલો બધો ગરમ કેમ છે? જવાબ છે ગ્રીનહાઉસ ઇફેક્ટ!!! શુક્રનું વાતાવરણ લગભગ 96% કાર્બનડાયોક્સાઇડ વડે બનેલું છે. પરિણામસ્વરૂપ એસિડ વર્ષા, 200 કિ.મી/કલાકની ઝડપે ચાલતા વિનાશકારી તોફાનો, સીસાને પણ ધ્વસ્ત કરવા સક્ષમ એવું પ્રચંડ તાપમાન શુક્રની નિયતિ બની ગઇ છે. ગ્રહ આપણાં માટે એક ચેતવણી છે કે કઇરીતે બ્રહ્માંડમાં એક જેવી પરિસ્થિતિઓમાં મૌજૂદ હોવા છતાં, વાતાવરણમાં બદલાવ એક ખુબસુરત ગ્રહને નર્ક બનાવવા માટે કાફી છે. પૃથ્વીરૂપી ગ્રહ આપણને મળેલ એક વિરાસત છે જેને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખવું માનવતાના ધોરણે આપણું કર્તવ્ય છે.

 

No comments:

Post a Comment